Friday, November 27, 2015

યે પાંચ સાલોં કા દેને હિસાબ આયે હૈં



બીરેન કોઠારી
આ બ્લોગ પર મારાં પોતાનાં લખાણો સિવાય મને ગમતી રચનાઓ તેમજ અન્ય ઉપયોગી લેખો મૂકવાનો ઉપક્રમ મુખ્યત્વે રહ્યો છે. આ ઉપક્રમ અંતર્ગત વધુ એક આરંભ કરતાં આનંદ થાય છે. લેખક- ચરિત્રકાર અને મારા મિત્ર બીરેન કોઠારીની સાપ્તાહિક કોલમ'ફિર દેખો યારોં' , સુરતથી પ્રકાશિત અખબાર 'ગુજરાતમિત્ર'માં  દર ગુરુવારે પ્રકાશિત થાય છે, જેમાં તેઓ નાગરિકધર્મને લગતા સામાન્ય પ્રશ્નો અને વ્યક્તિગત સ્તરે તેના શક્ય ઉપાયો મૂકવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરે છે. તેમના મેઈલીંગ લીસ્ટ દ્વારા તેમજ 'વેબગુર્જરી' પર આ લખાણો વાંચવા મળે છે. એ વાંચીને, મને અંગત રીતે લાગે છે કે એક ઉમદા વિચાર વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ માટે એને મારા બ્લોગ પર રીપોસ્ટ કરું. બીરેનભાઈએ આ માટે અનુમતિ આપી તે બદલ તેમનો આભાર. દર અઠવાડિયે નિયમિતપણે અહીંં એમની કોલમના લખાણને એ જ નામ હેઠળ રીપોસ્ટ કરવામાં આવશે. આશા છે, મારી જેમ સહુને ગમશે જ. 


********************************

આપણી લોકશાહીમાં ચૂંટણીઓની નવાઈ નથી. નગરપાલિકાઓ, વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ ખરી જ, એ ઉપરાંત નાનીમોટી અનેક સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ ખરી. દરેક ચૂંટણી આપણને આપણો મત કિંમતી અને પવિત્ર હોવાનું યાદ દેવરાવતી રહે છે. એક રીતે નાગરિક તરીકે ભલે કામચલાઉ તો કામચલાઉ, પણ આપણા મહત્ત્વનો અહેસાસ આ મોકે આપણને થાય છે. ચૂંટણી કોઈ પણ હોય, એક જાગૃત મતદાતાને થતી મૂંઝવણ લગભગ કાયમી હોય છે. મત કોને આપવો? પક્ષને નજર સામે રાખવો કે ઉમેદવારને? ચૂંટણી અગાઉ વિવિધ પક્ષો પોતાનો ચૂંટણીઢંઢેરો બહાર પાડે છે. તેને તેઓ કેવી અને કેટલી ગંભીરતાથી લે છે એ અલગ વાત થઈ, પણ એક ઔપચારિકતા લેખે પોતાના પક્ષની નીતિ દર્શાવવી જરૂરી બની રહે છે. ખરેખર તો, દરેક ચૂંટણી વખતના જે તે પક્ષના ચૂંટણીઢંઢેરા સાચવીને રાખ્યા હોય અને તેને જે તે પક્ષની વર્તમાન સ્થિતિ અને નીતિ સાથે સરખાવવામાં આવે તો કવિ રાજેન્‍દ્ર શુક્લની પેલી પંક્તિ યાદ આવ્યા વિના રહે નહીં: આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. મૂળ પંક્તિનો સંદર્ભ ભલે અલગ રહ્યો, પણ મતદાતા તરીકે વિચારીએ તો એ તદ્દન બંધબેસતી લાગે. વિવિધ સ્તરની ચૂંટણીઓ માટે એક જ પક્ષના ચૂંટણીઢંઢેરાનો અભ્યાસ કરીએ તો તેની અર્થવિહીનતા અથવા તો એ ઢંઢેરાની ગંભીરતા જે તે પક્ષને માટે કેટલી છે એ તરત સમજાઈ જાય.
આપણા દેશની સાત દાયકા જૂની લોકશાહીની તાસીર જોતાં એમ લાગ્યા વિના રહે નહીં કે હજી આપણે આપણા પ્રતિનિધિને ચૂંટતા નથી, બલકે આપણા ઉદ્ધારકને, આપણા તારણહારને ચૂંટીએ છીએ. આ તારણહાર ચૂંટાશે, ચૂંટાયા પછી પોતાની જાદુઈ લાકડી ફેરવશે અને ઉદ્ધાર થઈ જશે. વરસોવરસ એક વ્યક્તિને તારણહારના સ્થાને મૂક્યા પછી તેનાથી કંટાળીએ ત્યારે બીજા તારણહારને ચૂંટીશું. આમાં ક્યાંય આપણે લોકપ્રતિનિધિ તરીકેની ઉમેદવારની ભૂમિકાની કે તેણે કરેલા કાર્યની ભાગ્યે જ ચર્ચા કરીએ છીએ. ચૂંટણીનો દિવસ નજીક આવતો જાય એમ ઉમેદવાર કયા મુદ્દાઓ આગળ ધરે છે, એની પર નજર નાંખીએ તો એ સમજાય કે આપણા મતનું મૂલ્ય તેને મન કેવું છે!
સામે પક્ષે એ પણ જોવાની જરૂર છે કે ઉમેદવારનું મૂલ્ય આપણા મનમાં કેવું છે! આપણી સોસાયટીમાં તે એક-બે બાંકડા મૂકી આપે, લાઈટના બે-ચાર થાંભલા ગોઠવી આપે કે ડામર અને કપચી ભરેલાં એકાદ બે ડમ્પર ઠાલવી દે એટલામાં જ રીઝી જવા આપણે તૈયાર હોઈએ છીએ? કે પછી તેનાથી આગળ એ કંઈક કરે એવી આપણી અપેક્ષા હોય છે? સ્થાનિક સ્તરે આવાં કામો દ્વારા જે તે ઉમેદવાર ચૂંટાઈ આવે એ પછી તેને આ પદ્ધતિ ફાવી જાય છે. મોટે ભાગે તે વારંવાર ચૂંટાતો રહે છે અને એમ સમજી બેસે છે કે આ રીતે ચૂંટાવાનો તેનો અધિકાર છે.
લોકશાહીને એક શાસનપદ્ધતિ તરીકે આપણે સ્વીકારી તેની સાથે જ એક બાબત જોડાયેલી હતી કે દર પાંચ વર્ષે શાસક બદલાતા રહે. એ રીતે શાસકને પોતાને પોતાના શાસનકાળ પ્રત્યે એક દૃષ્ટિપાત કરવાની તક મળે અને તેના મનમાં પણ અનિશ્ચિતતા રહે. દરેક ચૂંટણી વખતે મતદાતાઓએ આ હકીકત યાદ રાખવા જેવી છે. કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ ઉમેદવાર હોય, આખરે તે પ્રજા દ્વારા ચૂંટાતો પ્રતિનિધિ છે. પ્રજા ઈચ્છે તો જ તેને ચૂંટે અને સત્તાસ્થાને બેસાડે. સત્તાસ્થાન પણ પોતાનો અધિકાર જમાવવા નહીં, બલકે પ્રજાની સેવા માટે છે એ બાબત તેના મનમાં સતત રહેવી જોઈએ. દર પાંચ વરસે તેને આ બાબતનો અહેસાસ થવો જોઈએ.  
એટલે કે કોને મત આપવો એ મૂંઝવણનો ઉકેલ બહુ સાદો છે. સત્તાસ્થાને જે શાસક કે પક્ષ હોય તેને ફરી મત ન આપવો, એટલી સાદી બાબત મતદાતા તરીકે આપણે યાદ રાખવા જેવી છે. આનું કારણ એટલું જ કે જે તે પક્ષ કે ઉમેદવારને યાદ રહે કે તે પ્રજા પર શાસન કરવા નહીં, પણ પ્રજાનાં કામ કરવા માટે ચૂંટાયા છે. પોતે શાસક નહીં, સેવક છે, એ તેણે યાદ રાખવું અને તેમને એ યાદ રહે એ જોવાનું કામ આપણું છે. કોઈ પણ ઉમેદવાર ગમે એવો લાયક કે કાર્યક્ષમ હોય, એક ટર્મથી વધુ તક તેને આપવી નહીં, અને બીજી તક આપવી હોય તો વચ્ચે એક ટર્મ તેને ઘેર બેસાડીને પછી એ તક આપવી. આમ કરવાનો હેતુ એટલો જ કે પ્રજા એ કોઈની જાગીર નથી એ બાબતનો અહેસાસ તેના મનમાં બરાબર રહે.
આને લઈને ભલે એમ બને કે મહાનગરપાલિકાની ચૂંટણી, રાજ્યસ્તરની ચૂંટણી કે કેન્‍દ્રીય સ્તરની ચૂંટણીમાં એક જ મતદાર અલગ અલગ, વિરોધાભાસી લાગે એ રીતે મત આપે. પણ લોકશાહીનો સાચો ઉપયોગ તેમજ હેતુ એ જ છે. આપણા દેશમાં એક જ પક્ષના શાસનના લાંબા ગાળા પછી થોડો સમય મિશ્ર સરકારનો સમયગાળો ચાલ્યો. હવે પાછો એક જ પક્ષના શાસનનો દોર આવ્યો છે. પણ બહુમતિથી ચૂંટાયેલા પક્ષની નીતિરીતિઓમાં ખાસ ફરક હોતો નથી. તેમની વિચારધારા કે સિદ્ધાંતો એક હોય અને તેનાથી સાવ વિરોધાભાસી તેમનો વ્યવહાર હોય એ અનુભવથી નાગરિકો એ હદે રીઢા થઈ ગયા છે કે તેની નવાઈ રહી નથી. ચૂંટણીટાણે ઉછાળવા માટે જાતજાતના મુદ્દાઓ શોધી લાવવા અને ચૂંટણી પછી તેને ડીપ ફ્રીઝરમાં મૂકી દેવાનો ક્રમ નિયમીત બનેલો છે. ઉમેદવારો ભલે અપરિપકવતા કે બાલીશપણું દેખાડે, નાગરિકોએ પુખ્તતા દર્શાવવા માટે હવે આમ કરવું જરૂરી લાગે છે. ગમે એટલા સારા ઉમેદવારને સળંગ ચૂંટવાને બદલે તેને બદલતા રહેવું. લોકશાહીનો મૂળભૂત ઢાંચો એટલો મજબૂત છે અને તે કદી વ્યક્તિવિશેષ આધારીત નથી. તે ગુણો અને સિદ્ધાંતો પર આધારીત છે. તેથી શાસન અસ્થિર થવાનો કે આપણું શું થશે?’ પ્રકારનો ભય મતદારે પોષવાની જરૂર નથી. એ ભીતિ સેવવી જ હોય તો ભલે ઉમેદવાર સેવતો!

વિવિધ સ્તરની ચૂંટણીઓ આવતીજતી રહેશે, પણ આ ગ્રંથિ તેમનામાં વિકસે એ જોવાની જવાબદારી નાગરિક તરીકે આપણી છે.                                                              

Wednesday, October 21, 2015

કહે કેમેરો

સૂર્યોદય -- નર્મદા નદી










સ્લીપર કોચમાંથી હાઈવે


Thursday, August 20, 2015

સંવેદના

સમય આવ્યો છે ૫રિવર્તનનો
દુનિયાની સહુથી સારી એક બાબત છે કે તેમાં સતત ૫રિવર્તન આવતું રહે છે. હા, વાત અલગ છે કે તે બદલાવ હકારાત્મક અને નકારાત્મક બંને રીતનો હોઈ શકે છે. બદલાવની અસર ૫ણ અલગ અલગ હોઈ શકે છે. બદલાવ જોવા માટે સંવેદનશીલતા હોવી જરૂરી છે. જેમ કે મહિલાઓની જિંદગીની વાત કરીએ તો અત્યારે બદલાવ જરૂર આવ્યો છે કે બહેનો સ્વતંત્ર બની છે. ૫હેલાં નહોતી એવાં ક્ષેત્રોમાં કામ કરતી થઈ છે. ૫ણ આવા સારાં ૫રિવર્તનની સાથે બહેનો સાથે થતી હિંસામાં વધારો થયો છે.
છડેચોક છેડતી, બેફામ બળાત્કાર, ગંભીર ગુનાઓની વધતી જતી સંખ્યા..  કયાં જઈને અટકશે બધું? એવો સવાલ ઘણા લોકોને સતાવી રહ્યો છે. બીજો સવાલ વધુ અગત્યનો  છે. શું દેશમાં કાયદો અને વ્યવસ્થા સાચવવાનું કોઈ તંત્ર છે કે નહીં? છે તો કેમ નિષ્ક્રિય લાગે છે? કેમ કે જો સક્રિય હોય તો ગુનાઓ વધતા અટકવા જોઈએ. ૫ણ એવું થવાને બદલે ગુનાઓનું પ્રમાણ અને ગંભીરતા વધતાં જાય છે. સંયુકત રાષ્ટ્રના એક અહેવાલના આંકડા બાબતને સમર્થન આપે છે. વર્ષ ર૦૧૦-૧૧માં ઘરેલુ હિંસાથી થયેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા છે ૮૩૮૩. જયારે વર્ષમાં આતંકવાદી હુમલાઓમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા છે રર૩૧. મૃત્યુ એ અલબત્ત, મૃત્યુ જ છે. પણ ઘરેલુ હિંસાનો આંકડો ઘણો મોટો છે,  એ અગત્યની વાત છે.
૫ણ ફરી એક હકારાત્મક બાબત છે કે હવે ઘણાં સરકારી માળખાં, કાયદાઓ, સંસ્થાઓ મુદ્દે નક્કર કામ કરતાં થયાં છે. એટલું નહીં, હવે તો બહેનોના પ્રશ્નો અને ૫રિસ્થિતિ માટે વ્યકિતગત અવાજ ઉઠાવનારા લોકો ૫ણ છે. એવી એક મહિલા છે ઈવ એન્સલર.  છેલ્લાં ૧૪ વર્ષથી મહિલા અત્યાચારના મુદ્દે લડત આપી રહેલાં ઈવે ર૦૧રનાં વર્ષમાં ૧૪  ફેબ્રુઆરીએ વિરોધની ઝૂંબેશ શરૂ કરી હતી અને આખી દુનિયાને તેમાં જોડાવાની અપીલ કરી હતી. વી-ડે (વીકટરી, વેલેન્ટાઈન,વજાઈનાનું ટૂંકું સ્વરૂ૫)ના દિવસે દુનિયાભરના એકસો કરોડ લોકો પોતાનાં કામની જગ્યાઓ, ઘર, શાળા, કોલેજમાંથી બહાર નીકળી સ્ત્રીહિંસા સામેનો પોતાનો વિરોધ અનેક રીતે વ્યકત કરે છે. આ એક વિશ્વવ્યાપી વિરોધ પ્રદર્શન અને સ્ત્રીહિંસા નાબૂદી માટેની માગણી છે.
છતાં અમુક સવાલો તો હજી ૫ણ સળગે છે. કાયદો કેમ થોડો ઢીલો ૫ડે છે? નાગરિકો ૫ણ ન્યાય માટે દેખાવો અને દબાણ કરે છે. છતાં ન્યાય માટેની લડત લાંબી કેમ ચાલે છે? ભોગ બનનાર વ્યકિતને સહાનુભૂતિની સાથે બધા પ્રકારના સહયોગની જરૂર રહે છે. બીજું, જે ઘટનાના ૫ડઘા દેશસ્તરે ૫ડે છે, તેમાં સહયોગ આ૫નારા લોકોની સંખ્યા વધુ હોય છે. ૫ણ એવી ઘટના જયારે સ્થાનિકે બને ત્યારે સહાનુભૂતિ અને સહયોગનું પ્રમાણ ઘટતું હોય એમ લાગે છે. થોડો સમય બધું ચાલે ૫છી ધીમેધીમે ઠંડું ૫ડી જાય.
દિલ્હીની બળાત્કારની ઘટનામાં નાગરિકોએ પોતાનો વિરોધ સારી રીતે બતાવ્યો. ૫ણ ૫છી શું? દીકરીઓનું ભણતર બંધ કરાવી દેવું, નાની ઉમરે તેનાં લગ્ન કરાવી દેવાં, ઘરની બહાર નીકળવા દેવી - દીકરીની સલામતીની સાચી રીત છે ખરી? આટલું કર્યા ૫છી ૫ણ મહિલાઓ  સલામત છે ખરી? અફસોસ સાથે જવાબ છે : ના. દીકરી,માતા,બહેન,નાની જેવા સંબંધોમાં ૫ણ દરેક પ્રકારનાં શોષણથી માંડીને બળાત્કાર જેવી ઘટનાઓ બનતી રહે છે. સ્વજન દુર્જન બને છે.
તો ૫છી હવે શું? હવે જરૂર છે સતત જાગૃતિની, સતત સભાનતાની, સતત સતર્કતાની. ઘરમાં તો મહિલા સભ્ય ઉ૫ર કોઈ અત્યાચાર ના થાય, સાથે બીજી જગ્યાએ ૫ણ જો આવું થતું હોય, તેને રોકવાની હિંમત બતાવવાનો સમય આવી ગયો છે. અત્યાચાર માટે કોઈ ધર્મ, જાતિ, વિસ્તાર, ઉમર - કોઈ ભેદ નથી હોતો. હાથ કે ૫ગ ભાંગવામાં આવે, બાળી નાખવામાં આવે, એસિડ પીવડાવવામાં આવે, તલવારથી ઘા કરવામાં આવે - બધાની પીડા જેટલી પુરૂષને થાય, એટલી મહિલાને ૫ણ થાય. એટલે મહિલા ઉ૫ર થતા અત્યાચાર રોકવા માટે સ્ત્રી હોવું જરૂરી નથી. એક સંવેદનશીલ માનવ હોઈએ તો બસ છે.
વાત વાંચીને કદાચ કોઈ એક મહિલા ઉ૫ર થતો અત્યાચાર અટકે, અત્યાચારમાં ઘાયલ કોઈ બહેનને દવાખાને ૫હોંચાડનારું મળી રહે, અત્યાચારનો ભોગ બનેલી મહિલાના ૫ક્ષમાં કાયદાને સાચી સાક્ષી આ૫નારું કોઈ મળી રહે. તો પોતાની જિંદગીની અંગત પીડાને આ૫ણી સામે મૂકનારી બહેનની હિંમતને સાચી સહાનુભૂતિ અને સહયોગ મળ્યાં કહેવાય.
                                            
                                                ('કચ્છમિત્ર' દૈનિકમાં 'સંવેદના' નામે પ્રકાશિત)