Saturday, November 12, 2016

મહિલા સશક્તિકરણ: દિલ્લી અભી દૂર હૈ

         
મહિલા સશક્તિકરણ. આ શબ્દનાં જાતજાતનાં અર્થઘટનો જમાના મુજબ થવા લાગ્યાં છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર કે સેમિનારોમાં આ વિષયે મજાકથી માંડીને ફિલોસોફી તેમ જ મતમતાંતરો ચર્ચાતાં રહે છે. લેખ, કવિતા, નિબંધ- બધું જ લખાય છે. વાસ્તવમાં મહિલા સશકિતકરણ થયું છે ખરું? થયું છે તો કેટલું? અને તેનો માપદંડ શો?
        એ હકીકત છે કે મહિલા સશકિતકરણ માટે ઘણાં નક્કર પગલાં લેવાયાં છે. કચ્છમાં ધરતીકંપ પછીનાં વર્ષોમાં આ મુદ્દો બહુ વેગ પકડી રહ્યો છે. બહુ બધાં ક્ષેત્રે મહિલાઓ આગળ આવી રહી હોવાની વાત થઈ રહી છે. ઘણી સંસ્થાઓ આ ક્ષેત્રે વિવિધ કામગીરી કરી રહી છે અને સરકારની પણ જાતજાતની યોજનાઓ અને ઉજવણી આ મુદ્દાને કેન્‍દ્રમાં રાખીને કરવામાં આવતી હોય છે.
        નોકરી કરનારી મહિલાઓનો વર્ગ વધી રહ્યો છે. પોતાનો - સ્વતંત્ર વ્યવસાય કરતી બહેનો ઘણી સારી સંખ્યામાં દેખાઈ રહી છે. પહેલાંની સરખામણીએ ભણતરમાં પણ છોકરીઓની સંખ્યા વધી રહી છે. કચ્છમાં ભુજ અને ગાંધીધામ સિવાયના અન્ય તાલુકાઓમાં શરૂ થયેલી કોલેજને લીધે અપડાઉનનો પ્રશ્ન ટળી ટળી ગયો છે. પરિણામે છોકરીઓ ઉચ્ચ શિક્ષણ લઈ રહી છે. પત્રકારત્વ, પોલીસતંત્ર જેવાં ક્ષેત્રોમાં આંગળીને વેઢે ગણાય તેટલી, પણ મહિલાઓ છે ખરી. એટલે એમ કહી શકાય કે હવે મહિલાઓના વિવિધ ક્ષેત્રના પ્રવેશની શરૂઆત થઈ ગઈ છે.

        વિવિધ રાજકીય પક્ષોનાં મહિલાજૂથો અલગ બને છે. તેમાં તેમને આગેવાની લેવાની તક મળે છે. તે જ રીતે ગામોમાં સરપંચ અને પંચાયત બોડીમાં પણ મહિલા સભ્યો હોય છે. વહીવટ ખરેખર તેઓ ચલાવે છે કે નહિ એ અલગ પ્રશ્ન છે. તે જ રીતે પંચાયતને સહયોગ આપવા અને ગામના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે અલગ અલગ સમિતિઓ જેમ કે, સંજીવની સમિતિ, પાણી સમિતિ કે શિક્ષણ સમિતિ વગેરેમાં પણ મહિલા સભ્યો હોય છે. હવે તો જ્ઞાતિ મુજબનાં મહિલામંડળ પણ થવા લાગ્યાં છે. અલબત્ત, તેઓ જ્ઞાતિના હિત માટે નિર્ણયો કેટલા લે છે એ અભ્યાસની બાબત છે.
        આ અને હજી પણ એમાં ઉમેરી શકાય એવી ઘણી બાબતો માટે વિચાર આવે કે શું આ જ છે મહિલા સશક્તિકરણ? આ શબ્દોનો અર્થ શો થાય? એથી સહેજ આગળ વિચારીએ તો, માત્ર મહિલા જ નહિ, કોઈના પણ માટે સશક્તિકરણની વ્યાખ્યા શી? કોઈ પણ વ્યક્તિ પોતાની જાત માટેના તમામ નિર્ણયો પોતાની રીતે, પોતાની જાતે લઈ શકે એ નિર્ણયો લેવા જેટલી પરિપક્વતા તેનામાં વિકસે ત્યારે એને સાચા અર્થમાં સશક્તિકરણ કહી શકાય.
         અલબત્ત, આ અર્થને જ્યારે મહિલાઓ સંદર્ભે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે હજી મંઝિલ ઘણી દૂર છે. એટલું હકારાત્મક આશ્વાસન છે કે એ દિશામાં કદમ માંડવાનું શરૂ થયું છે. એટલે મંઝિલ દૂર છે, પણ હાંસલ અવશ્ય થશે.
        તકલીફ એ છે કે આપણે ત્યાં મોટા ભાગે બધી બાબતોને બાહ્ય માપદંડથી જ મૂલવવામાં આવે છે. એ ધર્મપાલન હોય, દેશપ્રેમ હોય કે પછી મહિલા સશક્તિકરણ. બહાર દેખાતી સ્થૂળ બાબતો માપદંડ બને ત્યારે સાચું મૂલ્યાંકન અઘરું છે. સશક્તિકરણનાં ઘણાં પાસાં છે. એને બહારથી માપવાને બદલે ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ તો સાચું ચિત્ર બહાર આવે. આ માટે સમય કે દરકાર તો પછીના તબક્કે આવે, એ સમજવાની નિયત પણ ઓછી જોવા મળે છે. જાહેર જીવનમાં પડેલા જવાબદાર લોકો પણ અનેક પ્રસંગે મહિલાઓ વિષે જે ટીપ્પણીઓ પ્રસાર માધ્યમોમાં કરે છે એ તેમની અસલી માનસિકતા સૂચવે છે. એટલું જ નહિ, તે એ પણ દર્શાવે છે કે આ મુદ્દે હજી આપણા લોકો  સપાટી ઉપર જ છબછબિયાં કરી રહ્યા છે.

        ખરેખર જોઈએ તો મહિલાઓની જિંદગીમાં ઉપરછલ્લો જ ફરક આવ્યો છે. મહિલાઓ નોકરી કરતી થઈ છે. પણ એ સ્થળે એમની સલામતી કેટલી? કેટકેટલાં પ્રકારનાં શોષણનો ભોગ તેઓ બને છે ! ઉપરાંત, પોતાની આવકનો પોતાની મરજી મુજબ ખર્ચ કરવાનો નિર્ણય બહુ ઓછી મહિલાઓ લઈ શકતી હશે. મહિલાઓને નામે મિલકત તો હજી પણ બહુ ઓછી જોવા મળે છે. અને જે જોવા મળે છે એ પણ ટેક્સ બચાવવાના ઈરાદાથી જ. પિતાની કે પતિની મિલકતમાં પોતાના અધિકારરૂપે ભાગ માગતી મહિલાને આજે પણ તિરસ્કારની નજરે જોવામાં આવે છે.
        એ જ પરિસ્થિતિ ભણતરની છે. દીકરીઓનું ભણતર વધ્યું છે પણ શરતો હજી સમાજની જ લાગુ પડે છે. પોતાનાં ગામમાં જેટલાં ધોરણ સુધીની શાળા હોય એટલું જ ભણવું એવા નિર્ણય છોકરીઓ માટે તેમના વાલીઓ દ્વારા લેવામાં આવે છે. બાજુનાં ગામ કે શહેરમાં આગળ ભણવાની સુવિધા હોય તો પણ છોકરીઓને ત્યાં જવા નથી મળતું. કદાચ કોઈ જાય તો અપડાઉનમાં શોષણનો ભોગ બને એવી શક્યતા હોય છે. માત્ર આ જ કારણસર કેટલી બધી છોકરીઓની કારકિર્દી બની શકતી નથી. બીજું પરિણામ એ આવે છે કે અપડાઉનમાં આવો કશો અનુભવ થાય તો છોકરીઓ પોતાનું ભણતર બંધ થઈ જશે એ બીકે કોઈને તેઓ કોઈને કહેતી નથી. જે થાય તે, ભણવા તો મળે છે ને! એવા વિચારે બસ કે અન્ય વાહનમાં કે બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાઓ ઉપર થતી જાતીય સતામણી સહન કર્યા કરે છે. એ રીતે જોઈએ તો સગવડ અને વિકાસમાં આ ફરક છે. કમ્પ્યુટરથી સજ્જ, વિશાળ મકાનવાળી એકદમ અદ્યતન શાળા હોય. પણ એમાં છોકરીઓની સંખ્યા ઓછી હોય કે છોકરીઓ માટે અલગ બાથરૂમની વ્યવસ્થા ના હોય તો એ માત્ર સગવડ અને એ પણ અપૂરતી સગવડ છે, વિકાસ નથી જ નથી.  
        હમણાં એવો પ્રવાહ ચાલ્યો છે કે આપણી સંખ્યા વધારો. આવાં બેજવાબદાર નિવેદનો આપણા નેતાઓ જાહેરમાં કરે છે. એમને ખ્યાલ નહિ હોય કે એક બાળકને જન્મ આપતાં કેટલી તકલીફ પડે છે. પ્રસૂતિ એ સમાજની નહિ, પણ કુદરતની વ્યવસ્થા છે. એટલે એ દુનિયાની દરેક સ્ત્રી માટે એકસરખી જ હોય છે. એમાં કોઈ ધર્મ, જ્ઞાતિ, વર્ગ કે વિસ્તાર નડતાં નથી. એટલે વધુ બાળકો પેદા કરો એ બોલવું સહેલું છે, એટલું કરવું સહેલું નથી.
        કેટલાં બાળકોને જન્મ આપવો એ નક્કી કરવું સ્ત્રીના હાથમાં નથી. એને લાગે કે મારે એક સંતાન જ પૂરતું છે. પણ એ જો દીકરી હોય તો કુટુંબનાં દબાણને વશ થઈને તે સ્ત્રીએ પુત્રજન્મ ના થાય ત્યાં સુધી વારંવાર પ્રસૂતિની પીડામાંથી પસાર થવું પડે છે. કાયદો ગમે તે હોય, તેને અવગણીને ડોક્ટરોને વધુ પૈસા આપીને, સોનોગ્રાફી દ્વારા ગર્ભપરીક્ષણ કરાવવામાં આવે છે. ગર્ભમાં બાળકી હોય તો પોતાની મરજી વિરુદ્ધ તે સ્ત્રીને ભ્રૂણહત્યા કરાવવાની શારીરિક અને માનસિક પીડામાંથી પસાર થવું પડે એ અલગ.
        આ લખનારને આરોગ્ય ચકાસણીના કેમ્પ દરમ્યાન ત્રણથી ચાર મહિનાના ગાળામાં, અલગ અલગ ગામોની હજારથી વધુ બહેનોને મળવાનું થયું. એ બહેનોએ પોતાનાં દિલની વેદના ઠાલવી તેમાં આ જ વાત વારંવાર સાંભળવા મળી. કેટલીયે બહેનોને દબાણ હતું કે બાળક તો પુત્ર જ હોવું જોઈએ. મોટા ભાગની બહેનોને વારંવાર પ્રસૂતિને લીધે ગર્ભાશયની તકલીફ હતી. પતિ જનનાંગોની સફાઈ ના રાખે એમાં તેની પત્ની જાતજાતના ચેપનો ભોગ બને. આટલી મોટી સંખ્યામાંથી માસિકની તકલીફ ના હોય એવી માંડ એકાદ બે બહેનો હતી. એ સમયગાળા દરમ્યાન શારીરિક પીડા અને માનસિક તાણ બધી બહેનો અનુભવતી હતી.

ત્યારે યાદ આવે કે બસમાં બહેનો માટે અલગ સીટ હોય છે. પણ એ કોણ ખાલી કરી આપીને બહેનોને બેસવા આપે છે? આખી બસમાં કઈ બહેન માસિકના સમયગાળામાંથી પસાર થઈ રહી છે એ કેમ ખબર પડે? બહેનો માટે અલગ સીટની જોગવાઈ આવાં કારણોસર કરવામાં આવી છે. પણ એનો અમલ યોગ્ય રીતે થતો નથી. મહિલા અશક્ત કે નબળી છે એટલે નહિ, પણ આ પરિસ્થિતિ દરમ્યાન એને રાહતની જરૂર હોય છે એ સમજાતું નથી. પોતાનાં ગામમાંથી તાલુકા કે જિલ્લામાં ખરીદી માટે આવતી બહેનો માટે શૌચાલયની પૂરતી વ્યવસ્થા નથી હોતી. બસસ્ટેન્ડમાં પણ એ વ્યવસ્થા નથી હોતી. અથવા હોય તો સફાઈ, પાણી, લાઈટ અદૃશ્ય હોય છે.
        સંતાન બાબતે બીજી સામાજિક તકલીફો પણ થાય છે. દીકરી આવે તો પિતાને નહિ, માતાને જવાબદાર ઠેરવવામાં આવે છે. બાળક રહેવામાં તકલીફ થતી હોય તો સ્ત્રીએ જ તપાસ કરાવવાની, પતિમાં ખામી હોઈ જ ના શકે. એ માટે ક્યારેક પુરુષનાં બીજાં લગ્ન સુધી પણ વાત પહોંચે છે.
        સગવડ અને વિકાસની વાત કરીએ તો દવાખાનું હોય તો પૂરતો અને જરૂરી સ્ટાફ ના હોય. સ્ટાફ હોય તો પાણી કે લાઈટ ન હોય. બધું હોય તો એક મહિલાને તપાસવા માટેની  પૂરતી અંગતતા (પ્રાઈવસી) ના હોય. એટલે માત્ર માળખું, અને એ પણ નામનું, હોય તો તેને સગવડ કહેવાય, વિકાસ કદી ના કહેવાય.

        રાજકીય બાબતોમાં ઉપર ઉપરથી સશક્તિકરણ દેખાય છે. પણ વાસ્તવિકતા અલગ હોય છે. હજી મહિલાઓ સરપંચ કે પંચાયત સભ્ય હોય તો નિર્ણય બીજા લોકો જ લેતા હોય એ સામાન્ય છે. એમાં પણ કહેવાતી નીચી જ્ઞાતિઓની મહિલા હોય તો વાત સાવ પૂરી. તેઓ કદી પંચાયત ઓફીસનું પગથિયું ચડી નથી હોતી. અલબત્ત, હવે ક્ષમતાવર્ધનની ઘણી પ્રક્રિયાઓ સરકાર અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેનાથી કેટલો ફરક પડે છે એ ભગવાન જાણે. સગવડ અને વિકાસની વાત વધુ એક વાર કરીએ તો કમ્પ્યુટરાઇઝ્ડ પંચાયતઘર હોય, બધી વિગતો નાગરિકો માટે ઉપલબ્ધ હોય, સીસી ટીવી કેમેરા લાગેલા હોય તો એ સગવડ છે. એવી ઓફિસમાંથી મહિલા સરપંચ પંચાયત બોડીની નિયમિત મિટિંગ કરે, ગ્રામસભા નિયમિત થાય અને તેમાં ગામના તમામ નાગરિકો હાજર રહે તો એ વિકાસ છે. પણ ખરેખર એવું થાય છે ખરું? બહેનોને એ ખબર પણ નથી હોતી કે ગ્રામસભા ક્યારે યોજાઈ ગઈ. રજીસ્ટર ઘરે આવી જાય એટલે આંખ મીંચીને અંગૂઠો કે સહી કરી આપવાની.
            ધર્મ, જ્ઞાતિ, સમાજ – આ બધી બાબતોનું બંધન સ્ત્રીઓને સહુથી વધુ નડે છે. ભારતનાં બંધારણે આપેલા મૂળભૂત હકો મેળવવા માટે તેમણે લડત કરવી પડે છે. કોર્ટનો આશરો લેવો પડે છે ત્યારે તેમને તે માંડ મળે છે. છતાં, લોકો એને મજાકનું પાત્ર જ બનાવે છે.
        સ્ત્રી સમાનતા અને સશક્તિકરણ માટે પગલાં લેવાય છે પણ એ માટે સ્ત્રીએ પોતાની જાતને પુરવાર કરવી પડે છે. ઓલીમ્પિક્સ રમતોમાં સિન્ધુ, દીપા કે સાક્ષીને પહેલાં પોતાની જાતને, આવડતને સાબિત કરવી પડી. ત્યારે દેશ તેમના માટે ગૌરવ અનુભવે તેવી સ્થિતિ ઉભી થઈ. પણ તેઓ આ રમતો માટેની પૂર્વતૈયારી કરતી હતી ત્યારે તેઓ જ્યાં રહે છે એ સમાજ, તેમને અને તેમના પરિવારને નીચો દેખાડવાની એક પણ તક જતી નહોતો કરતો. એ જ હાલત ભારતમાં ઓછેવત્તે અંશે બધે જોવા મળે છે. કોઈ સ્ત્રી ચીલો ચાતરે અને કશી નવી શરૂઆત કરે એટલે તેની ઉપર માછલાં ધોવાય, એની ક્ષમતા ઉપર શંકા કરવામાં આવે, તે હાંસીનું પાત્ર બને.

        નિર્ભયા જેવો કિસ્સો બને ત્યારે દેશભરમાં નાગરિકો દેખાવો કરે, ન્યાય માગે. પણ એવી  ઘટના ઘર આંગણે બને ત્યારે એ છોકરીના ચારિત્ર્ય ઉપર આંગળી ચીંધવામાં આવે. નિર્ભયા કેસ વખતે એના ઉપર દુષ્કર્મ કરનારા લોકોની મુલાકાત જોઈએ તો એ જ સદીઓ જૂની વાતો સાંભળવા મળેલી. છોકરીઓએ વધુ ભણવું ના જોઈએ, છોકરીઓએ મોડી રાત્રે બહાર ના નીકળવું જોઈએ, છોકરીઓએ પોતાના મિત્રો સાથે ફરવું ના જોઈએ વગેરે વગેરે.. એ ઘટના પછી કાયદામાં બદલાવ આવ્યો એ બરોબર. માનસિકતામાં બદલાવ આવ્યો ખરો? એ કેસ થોડો જૂનો થયો એટલે હવે ભૂલાઈ ગયો. એના પછી ભારતનાં ઘણાં રાજ્યોમાં આવા કિસ્સા બન્યા ત્યારે એ જ માનસિકતા ઝલકતી લાગે.
        એક અભ્યાસ દરમ્યાન કચ્છમાં વિવિધ વિસ્તાર, ઉમર અને સ્તરની બહેનોને પૂછવામાં આવ્યું કે તમને ક્યાં અસલામતી લાગે છે? જવાબમાં કાર્યસ્થળ, જાહેર પરિવહન, ધાર્મિક સ્થાનો, જાહેર જગ્યાઓ, મનોરંજનના સ્થળો, શૈક્ષણિક સંકુલ વગેરે આવ્યાં. આ યાદી પૂરી જ નહોતી થતી. અને સહુથી ચોંકાવનારી બાબત એ કે તેમાં સહુથી પહેલાં સ્થાનમાં પોતાનાં ઘરનો સમાવેશ થતો હતો. આ જોઈને લાગે કે હજી  આ મુદ્દે ઘણું કામ કરવાનું બાકી છે.
        બહેનોએ પોતે પણ પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. સશક્તિકરણ એ બાહ્ય વસ્તુ નથી એ સૌથી પહેલું સમજવાની જરૂર છે. એ બદલાવ આંતરિક એટલે કે વિચારોમાં, વર્તનમાં, નિર્ણયોમાં હોવો જોઈએ. પેન્ટ-શર્ટ પહેરવાં કે રાતે બહાર ફરવું એ સશક્તિકરણ નથી. પુરૂષો કરે છે એ કરવું, એટલે કે પુરુષસમોવડી બનવું એ પણ સશક્તિકરણ નથી. સાચું સશક્તિકરણ છે પોતાની જાત માટે સાચા નિર્ણયો લેવામાં. જેના માટે સંઘર્ષ કરવાની, વિરોધ કરવાની કે બળવો કરવાની જરૂર નથી. જરૂર છે માત્ર તેની સમજણ કેળવવાની અને યોગ્ય બદલાવ માટે પહેલ કરવાની.

        સમાજ, સરકાર અને સંસ્થાઓએ પણ એ રીતે વિચારવાની અને આ દિશામાં પગલાં ભરવાની જરૂર છે. મહિલા સશક્તિકરણ એ કોઈ દિવસ, સપ્તાહ, માસ કે વર્ષ પૂરતી ઉજવણીઓ, કાર્યક્રમો, યોજનાઓ કે પ્રોજેક્ટ નથી. સશક્તિકરણ એ માનસિક બદલાવ છે. એ સગવડ નથી. એ વિકાસ છે. હજી પણ છાપાંઓની મહિલાવિશેષ પૂર્તિ, મહિલાલક્ષી સામયિકો કે જ્ઞાતિના મહિલામંડળો મહેંદી, કેશગુંફન, રંગોળી, વાનગીઓમાં જ કેદ છે. બહેનોને લગતી કાયદાકીય માહિતી, જરૂરી કાઉન્સેલિંગ, આર્થિક રોકાણો માટેનું માર્ગદર્શન, સ્ત્રીહિંસા વિષે ચર્ચા જેવી બાબતો ક્યારેય એમનો પ્રોજેક્ટ બનશે ખરો?
        બહેનોનાં અપમૃત્યુના સમાચાર રોજ જોવા-વાંચવા મળે છે. કેમ? કેમ કે મહિલાને નામે મિલકત હોય નહિ. પતિ કહે કે આ ઘર મારું છે. પિતા કહે કે દીકરી તો સાસરે જ શોભે. ઘરનાં સભ્યો આવું કહે તો સમાજ શા માટે બાકી રહે? રિસામણે આવી છે,  એ તો પહેલેથી જ છૂટી હતી, આવું થવાનું જ હતું. આવી વાતોથી બધાં સ્ત્રીનું જીવવું હરામ કરી નાખે છે. ત્યારે એને સાંભળનાર કોઈ નથી હોતું. એ જાય તો ક્યાં જાય? એટલે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો એને માટે રહેતો નથી.
        પંચતંત્રની બાપ-દીકરો અને ગધેડાવાળી વાર્તા સ્ત્રીઓના સંદર્ભે બરાબર લાગુ પડે છે. ગધેડા ઉપર બાપ બેસે, દીકરો બેસે, બંને બેસે કે બેમાંથી કોઈ ના બેસે, પણ લોકો ટીપ્પણી કર્યા વિના રહે નહીં. એ જ રીતે સ્ત્રી ભણે કે ના ભણે, નોકરી કરે કે ના કરે, તૈયાર થાય કે ના થાય,  લગ્ન કરે કે ના કરે, દરેક સ્થિતિમાં તેના માટે વિપરીત ટીપ્પણીઓ થતી રહેતી હોય છે. વિકાસની ગમે તેટલી ગુલબાંગો પોકારવામાં આવે, આ મુદ્દે હજી ઘણું કરવાનું બાકી છે. અલબત્ત, સહુએ સાથે મળીને જ.

       આટલું વાંચીને કોઈને એમ લાગે કે આ દૃષ્ટિકોણ નકારાત્મક છે અને જે થઈ રહ્યું છે એની તરફ દૃષ્ટિ રાખવી જોઈએ. ખરેખર તો આપણે પહોંચવાનું હોય એ તરફ દૃષ્ટિ રાખવાની હોય. વાસ્તવિકતાને નજરઅંદાજ કરવી એ નકારાત્મકતા નથી, કેમ કે, રોગનું નિદાન સાચું હશે તો જ એનો ઈલાજ થઈ શકશે. 
નોંધ : તમામ કાર્ટૂન્સ નેટ ઉપરથી લીધેલાં છે.


('મંગલમંદિર'માં પ્રકાશિત)

Saturday, May 21, 2016

પાણી સાધન કે સંપત્તિ નથી, સ્રોત છે

-બીરેન કોઠારી

માનવજાતની પ્રકૃતિ બહુ અળવીતરી હોય છે. કોઈ ચીજ તેની પાસે હોય ત્યારે તેને કશી કિંમત ન હોય. એને તે વેડફી નાંખે, બેફામપણે વ્યય કરે અને તેનું નિકંદન કાઢવાને આરે લાવીને મૂકી દે. અને એ ચીજ તેની પાસેથી જતી રહે ત્યારે તેને મેળવવા માટે એ ધમપછાડા કરે, આકાશપાતાળ એક કરે. આ બાબતનું સૌથી જાગતું ઉદાહરણ એટલે પાણી.
માનવજીવન જ નહીં, જીવ માત્રના જીવન માટે પાણી અનિવાર્ય છે. માનવ પાણીને નાથતો થયો, સંઘરતો થયો ત્યારે લાગ્યું કે તેને પાણીનું મૂલ્ય સમજાઈ રહ્યું છે. પણ આડેધડ વિકાસની આંધળી દોટમાં અત્યારે તે અભૂતપૂર્વ જળસંકટનો સામનો કરી રહ્યો છે. એક તરફ પીવાના પાણીના સાંસા છે અને બીજી તરફ કેટલુંય પાણી વેડફાય છે. એટલું જ નહીં, પાણીને લઈને કોઈ ભાવિ આયોજન પણ નજરે પડતું જણાતું નથી.

મહારાષ્ટ્રના લાતુરમાં પાણીના વિતરણ ટાણે ૧૪૪ મી કલમ લાગુ પાડવામાં આવી છે અને ત્યાં પાણી ભરેલી ટેન્‍કરો ટ્રેન દ્વારા મોકલવામાં આવી રહી છે. દેશના એક ભાગમાં આટલી વિકટ પરિસ્થિતિ છે અને બીજી તરફ ક્રિકેટ મેચોના આયોજન પાછળ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આવો જ વિરોધાભાસ ગંગા, યમુના કે અન્ય નાની મોટી નદીઓના કહેવાતા શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાબતે જોવા મળે છે. આ નદીઓમાં વ્યક્તિગત તેમજ તંત્રગત રીતે ગંદકી ઠાલવતી વખતે પાછું વાળીને જોવાતું નથી. એ રીતે નદીની ઓળખ મટી જવા આવે ત્યારે કરોડોના ખર્ચે શુદ્ધિકરણનું આયોજન કરવામાં આવે છે. આ શુદ્ધિકરણ પણ નદીને ફરીથી પ્રદૂષિત કરવા માટે જ કરવામાં આવે છે, એ અલગ વાત છે.
આજકાલ રીવરફ્રન્ટના રૂપાળા નામે નદીકાંઠાઓને શણગારવાની યોજનાઓની ચર્ચા થઈ રહી છે. સૂકાઈ ગયેલી એક નદીમાં બીજી નદીનું પાણી ઠાલવીને તેના પટને કોઈ પણ ભોગે ભરેલો રાખવામાં આવે છે, જેના સાન્નિધ્યમાં કળા, સંસ્કૃતિ, સ્વાસ્થ્ય તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોના ગૌણ કાર્યક્રમના નિમિત્તે  ખાણીપીણીનો મુખ્ય કાર્યક્રમ ચાલતો રહે છે. આ બધો કચરો ભલે નદીમાં ઠલવાતો. રીવરફ્રન્‍ટને વિકસાવવાની આવી યોજનાઓ ઠેરઠેર ચર્ચાઈ રહી છે અને ઘણે ઠેકાણે એનો અમલ થવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. નાગરિકો બિચારા વહેતું પાણી જોઈને એટલા રાજી થઈ જાય છે કે તેમના મનમાં હકારાત્મક વિચારોની ગંગા વહેવા માંડે છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા નાના જળાશયો ક્યારના લુપ્ત થઈ ગયા છે. આવા જળાશયો પાણીના તળને જાળવી રાખવામાં ઘણા મદદરૂપ થઈ પડતા. જળાશયો પર હવે બહુમાળી ઈમારતો વટભેર ઉભી છે અને જળાશયની યાદ અપાવતા ખાડા જ્યાં અને જેટલા પણ બચ્યા છે ત્યાં કચરો ઠલવાતો રહેવાથી એ કુદરતી કચરાપેટી બની રહ્યા છે.
વ્યાપક સ્તરે આવો અભિગમ જોઈને વ્યક્તિગત સ્તરે આપણને સૌને થાય કે આમાં આપણાથી શું થઈ શકે? આ સમસ્યા એટલી વિશાળ અને મુખ્યત્વે નીતિગત કારણે ઉદભવેલી જણાય છે!
જરા વિચારીએ તો ખ્યાલ આવે કે આપણા સ્તરે હાથ ધરાયેલા ઉપાયોનું મહત્ત્વ પણ કમ નથી. સૌ પ્રથમ તો પાણીને આપણે સંબંધિત તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાની અને આપણા હકની ચીજ તરીકે જોવાનું બંધ કરવું રહ્યું. કુદરત દ્વારા આપણને પ્રાપ્ત સૌથી મહત્ત્વના નૈસર્ગિક સ્રોત તરીકે તેને આપણે જોઈશું તો જ તેનું મૂલ્ય સમજાશે. આ મહામૂલા સ્રોતને વેડફી દેવો કોઈ કાળે પોષાય નહીં.
પાણીના વેડફાટને નિયંત્રિત કરતો કોઈ કાનૂન બને કે ન બને, નાગરિકધર્મ તરીકે પણ આ બાબતને ગંભીરતાથી લેવા જેવી છે. તંત્ર દ્વારા સામૂહિક સ્તરે જે થાય એ, પણ વ્યક્તિગત સ્તરે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવા જેવી છે. પોતાના વિસ્તારમાં પાણીની છત ભલે હોય, પણ તેનાથી એને વેડફી દેવાનો પરવાનો આપણને મળી જતો નથી.
પાણીના સદુપયોગનું પહેલવહેલું પગથિયું છે તેને નકામું વહી જતું અટકાવવાનું. ટપકતા નળ, ટપકતા સાંધાઓનો ઈલાજ વેળાસર કરીને તેને બંધ કરવાં જોઈએ. પ્લમ્બરને બોલાવવાની મજૂરીની સરખામણીએ પાણીનું મૂલ્ય અનેકગણું વધુ છે.
વિવિધ ઘરેલુ કાર્યો માટે પાણીનો ઉપયોગ કરતી વખતે પાણીના નળને સતત ચાલુ રાખવાને બદલે જરૂર પૂરતું પાણી જે તે કામ મુજબના પાત્રમાં ભરીને તેને વાપરવું હિતાવહ છે. દાંતે બ્રશ કરવા કે દાઢી કરવા જેવું નાનું કામ હોય કે વાસણ ઘસવા, વાહનો ધોવા કે સ્નાન કરવા જેવું વધુ પાણી વાપરતું કામ કેમ ન હોય!
વપરાયેલા પાણીના તેના ઉપયોગ મુજબ પ્રકાર પાડવામાં આવ્યા છે. વાસણ ધોવાં, નહાવું, કપડાં ધોવા વગેરે જેવી ઘરેલુ પ્રવૃત્તિઓથી પેદા થયેલા નકામા પાણીને ગ્રે વોટર કહેવામાં આવે છે. શૌચાલયોમાંથી નીકળેલું મળમૂત્રવાળું પાણી બ્લેક વોટર તરીકે ઓળખાય છે. ગ્રે વોટર પર પ્રક્રિયા કરીને તેને શૌચાલયોમાં ફ્લશ કરવા તેમજ બગીચાને સિંચિત કરવામાં ફરી વાપરી શકાય છે. પણ બ્લેક વોટરને પુનઃઉપયોગમાં લઈ શકાતું નથી. અલબત્ત, એ બાબત ધ્યાનમાં રાખવી રહી કે ગ્રે વોટરમાં ઓગળેલા સાબુ તેમજ ડિટરજન્ટ હોવાથી તેની પર પ્રક્રિયા કરવી જરૂરી છે. તેને એમનું એમ વાપરવામાં આવે તો છોડના વિકાસ વિપરીત થઈ શકે.
સામાન્ય રીતે આપણા ઘરોમાં તમામ પ્રકારનાં વપરાયેલાં પાણીને ગટરમાં વહાવી દેવાની ગોઠવણ કરવામાં આવી હોય છે. આ સંજોગોમાં ગ્રે વોટરના પુન: ઉપયોગ માટે થોડી કામચલાઉ વ્યવસ્થા ઉભી કરવી પડે. આ કામ ઝંઝટભર્યું લાગતું હોય તો પણ એ સમજવું રહ્યું કે આ ઝંઝટ કેવળ એક વારની છે. તેની સામે મળનારો લાભ અનેકગણો વધુ છે.


પાણીનો વેડફાટ અટકાવવા માટે દરેક જણ પોતપોતાની મૌલિક પદ્ધતિ શોધી શકે. પાણીનો વેડફાટ અટકાવવાની સાથે સાથે બીજી મહત્ત્વની વાત છે વરસાદી પાણીના સંચયની. વરસાદી પાણીનો સંચય ઘરના સભ્યદીઠ કેમ ન કરી શકાય? ‘રેઈન બેરલ તરીકે ઓળખાતા સાવ સાદા પીપમાં, તદ્દન ઓછી જગામાં અને સાવ મામૂલી ખર્ચે આ કામ કરી શકાય છે. કુટુંબ સાધનસંપન્ન હોય કે ન હોય, પણ લોકો આ પદ્ધતિ અપનાવે એ ઈચ્છનીય છે, કેમ કે, પાણી કંઈ પૈસા ખર્ચીને ખરીદી લેવાની કોઈ ચીજ નથી, પણ મહત્ત્વનો પ્રાકૃતિક સ્રોત છે, એ સૌને સમજાય એ જરૂરી છે. બીજી ઘણી બિનજરૂરી બાબતો પાછળ નાણાં આપણે વેડફતા હોઈએ છીએ. તેની સરખામણીએ આ પ્રયત્ન અને તેની પાછળનો ખર્ચ વધુ ન ગણાય. જળ એ જ જીવન જેવાં સૂત્રો લખવાથી કંઈ પાણી બચતું નથી. આ સૂત્ર લખવા ઉપરાંત તેને અપનાવીએ તો જ તેનો અર્થ સરે. 

(તસવીર સૌજન્ય : ઈન્ટરનેટ)

Tuesday, March 29, 2016

સલામતીનો સવાલ


મહિલાઓની સલામતીની વાત આવે એટલે જાતજાતની ચર્ચા શરૂ થઇ જાય. કેટલાય મત આવી જાય. કેટલીયે યોજનાઓની વાત સામે મૂકવામાં આવે. પણ હકીકત એ છે કે મહિલાઓની સલામતી માત્ર આવી ચર્ચાઓમાં અને અભિપ્રાયોમાં જ બંધાઈ ગઈ છે. પણ જયારે બહેનો સાથે રૂબરૂ વાત થાય ત્યારે એ અહેસાસ થાય કે એક પણ જગ્યા બહેનો માટે સલામત નથી. તે નોકરી કરતી હોય, ગૃહિણી હોય, વિદ્યાર્થિની હોય, ગામ કે શહેરમાં રહેતી બહેન કે પછી સરપંચ હોય. દરેકને એ મહેસૂસ થાય છે કે એ કોઈ જગ્યાએ સલામત નથી.
અસલામતી તો એટલી બધી છે કે માતાનો ગર્ભ પણ અસલામત છે. આવી વાત કહેતી બહેનો અસલામત જગ્યાઓની આખી યાદી બનાવે નાખે છે. ત્યારે એવું લાગે કે ખરેખર આ આખી દુનિયામાં સ્ત્રીઓ માટે સલામત હોય એવી કોઈ જગ્યા નથી. આ અતિશયોક્તિ નથી, પણ કમનસીબે વાસ્તવિકતા છે. આપણા કચ્છ જિલ્લાની બહેનોના મોઢેથી સાંભળેલા તેમના અનુભવો છે.
કહેવાય છે કે ધરતીનો છેડો ઘર. પણ ઘણી બધી બહેનો માટે ઘર પણ સલામત નથી. પિતા, પતિ, પુત્ર, ભાઈ, સસરા, દિયર, જેઠ.. કોઈ પણ સંબંધ હોય, કેટલીયે મહિલાઓને અગણિત કડવા અનુભવો થાય છે. તેઓ બહુ ઓછા શબ્દોમાં આ વાત કહી શકે છે, કેમ કે પોતાનાં ઘરની “આવી” વાત કેમ કહેવી? એ તો સહન જ કરવી પડે ને?
“ઘરની બહાર નીકળીએ તો રસ્તોય ક્યાં સલામત છે? હું તો રીક્ષા કરવાને બદલે પગે જ જાઉં બધે હોં.” કહેતી બહેન આગળ ઉમેરે છે કે એટલે રોજ દસેક કિલોમીટર તો હાલવું જ પડે. એટલે બીજી બહેન ઉમેરે છે : રીક્ષાની ક્યાં વાત કરે છે? બસ કે કોઈ પણ વાહન ક્યાં સલામત છે આપણા માટે? દારૂડિયા લોકો ચડે. તેમના અને બીજાના અણગમતા સ્પર્શનો અનુભવ તો રોજ હોય. અરે, ડ્રાઈવર અરીસામાંથી ઈશારા કરે એવુંયે બને છે. જાતે વાહન ચલાવીએ તો જાણીજોઇને નજીકથી વાહન ચલાવનારાયે છે અને પીછો કરનારા પણ છે. બસમાં અપડાઉન કરવામાં તો રોજની તકલીફો છે. નવી જોડાયેલી શિક્ષિકાને આઠમા-નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ હેરાન કરે તેવા પણ અનુભવ હતા.  
એટલે કોઈ પણ નોકરી કરતી બહેનોય અસલામતી અનુભવે છે. પછી એ આશાવર્કર હોય કે આચાર્યા. સૂના વિસ્તારોમાં રસીકરણ માટે જતી આશાવર્કરને અસલામતી લાગે છે અને ઘરકામ માટે જતી બહેનોને પણ ડર લાગે છે. નર્સની કામગીરી કરતી બહેનોને લાગે છે કે રાતની ડ્યુટી તેમના માટે સલામત નથી. કંપનીમાં કામ કરતી બહેનોને પણ અસલામતી લાગે છે. અરે, સરપંચ બહેનોને પણ ઘણા પુરુષ અધિકારીઓથી કડવા અનુભવ થાય છે.
પેટીયું રળવા કચ્છ બહારથી આવેલી બહેનોને તો વળી આર્થિક અસલામતી પણ લાગે છે. આખો મહિનો કામ કરીને વળતર ના આપ્યું હોય તેવી ઘટનાઓ પણ છે. દારૂડિયા પતિની મારપીટ તો રોજની હોય છે. ફાઈબરના કાચાં મકાનોમાં રહેતી બહેનો સતત એ ફડકા સાથે જીવે છે કે એક લાતથી ખુલ્લાં થઇ જતાં મકાનમાં કઈ પણ થઇ શકે છે. અન્ય રાજ્યોમાંથી પરણીને આવેલી બહેનો ઘરમાં સલામતી નથી અનુભવતી. અજાણી ભાષા, અજાણ્યો વિસ્તાર, અજાણ્યા લોકો... એક બહેન હિન્દીમાં કહે છે કે અમારું શોષણ તો ઘરના પુરુષ સભ્યો જ કરે છે. કારણ કે તેમને ખ્યાલ છે કે અહી આનું કોઈ નથી. કોણ મદદ કરશે એને અને એ જશે પણ ક્યાં?
અલબત્ત, સંવેદનશીલ પુરુષો પણ છે, બસ, તેમની સંખ્યા ઓછી છે. કુટુંબનો સાથ મળે છે એવી બહેનોને અન્ય લોકોથી અસલામતીનો અનુભવ થાય છે. દરેક બહેનનો એક જ સૂર હતો કે આ સમાજમાં થોડી સમજ આવે, બહેનો માટે તેની દ્રષ્ટિ બદલાય તો સારું.. અને આ સમાજ એટલે તો કોણ? આપણે જ.

(કચ્છમિત્રમાં તા. ૨૪-૩-૨૦૧૬ના પ્રકાશિત)

Tuesday, March 15, 2016

જાતીય સતામણી એ સ્ત્રીના માનવ અધિકારનું હનન

ગઈ કાલે પુરુષોનાં વલણ અને વર્તનમાં બદલાવ માટેનાં સૂચનો વિષે વાત કરી. આજે કરીએ તે વાતને પૂરક એવી મહિલાઓનાં વર્તન-વલણના બદલાવ વિષેની ચર્ચા.
પ્રથમ વાત તો એ જ કે મહિલાઓએ જાતીય સતામણીને ઓળખવી જરૂરી છે. અસ્વસ્થ, અપમાનિત અથવા ભયભીત બનાવતો કોઈ પણ વ્યવહાર જાતીય સતામણી છે. સામેવાળી વ્યક્તિના ઈરાદા કરતાં, મહિલા શું અનુભવે છે એ વધારે મહત્વનુ છે. જો કોઈ મહિલાને આવી કોઈ પણ પ્રકારની સતામણીનો અનુભવ થાય, તો તેનો વિરોધ કરવાનો તેને અધિકાર છે.  
એક એવી ગેરસમજ છે કે સ્ત્રીની ‘ના’ એટલે ખરેખર ‘હા’ હોય છે. પણ એ વાત બિલકુલ સાચી નથી. સ્ત્રીની ‘ના’ એ ‘ના’ જ હોય છે. જે બાબત અણગમતી હોય તેના માટે દરેક સ્ત્રીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ના કહેવી જ જોઈએ. મને આ પસંદ નથી” અથવા “રોકાઈ જાવ”. આ વાક્યોને જોરપૂર્વક બોલીને તરત જ પોતાનો વિરોધ કે અણગમો બતાવી દેવાં.
એવું બનતું હોય છે કે એકાદ મહિલા કે કિશોરીને જાતીય સતામણીનો અનુભવ થાય એટલે તેમનાં બહાર જવા ઉપર યા તો બંધન આવી જાય છે અથવા સમય નક્કી થઇ જાય છે. રાતે તો બહાર જવાનું બિલકુલ બંધ ! પણ આવું કરવાને બદલે બહેનોએ સતર્ક અને આત્મવિશ્વાસુ બનવાની જરૂર છે. આવી સતામણી થાય ત્યારે શાંત રહીને તે વ્યક્તિ સામે નજર મેળવી અને દ્રઢતાથી સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત કહેવી. જેથી સામેની વ્યક્તિને સ્પષ્ટ સંદેશ મળે કે આ મહિલા સતર્ક છે અને આ જગ્યા પર રહેવાનો એને પણ એટલો જ અધિકાર છે.
મિત્રો અને સહયોગીઓનો સાથ સતામણી છતી કરવામાં મદદગાર સાબિત થાય છે. ઉપરાંત, એક મહિલા તરીકે જો તમારી હાજરીમાં કોઈની સતામણી  થતી હોય તો તેને મદદ કરવા તથા પ્રતિક્રિયા માટે તૈયાર રહેવું જોઈએ.
જાતીય સતામણીની ઘટના બને તો પોલીસને તેની ફરિયાદ નોંધાવવી ખૂબ જ જરૂરી છે. જાતીય સતામણી એક ગંભીર ગુનો છે, જેને નજર અંદાજ ન કરવો જોઈએ. તે એક મહિલાનું અપમાન તો છે જ, સાથે માનવ અધિકારનું પણ હનન છે. આવી ઘટના કોઈની પણ સાથે બને, તેની જાણ યોગ્ય અધિકારીઓને તરત કરવી જ જોઈએ.
જાતીય સતામણી માટે મહિલાએ ક્યારેય પોતાની જાતને દોષી ના માનવી જોઈએ. એ પુરુષો દ્વારા મહિલાઓ પર સત્તા અને મર્દાનગી અભિવ્યક્ત કરવા માટેનું માધ્યમ છે. એ વાત ખાસ યાદ રાખવી કે કપડાં અથવા તો રહેણી-કહેણી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય વર્તાવ અથવા તો સતામણીને આમંત્રણ આપતા નથી.
મહિલાઓ આ સૂચનોને ધ્યાનમાં લઈને પોતાનું વર્તન બદલાવે તો તેમને તો વ્યક્તિગત ફાયદો થશે જ. સાથે, બીજા સંવેદનશીલ લોકોનો સાથ પણ મળી શકશે. જે જાતીય સતામણીના કિસ્સાઓ ઘટાડવામાં મદદરૂપ બની શકે. સ્વસ્થ વિચારસરણી ધરાવતાં સ્ત્રી-પુરુષો જ સાથે મળીને આ સમાજને તંદુરસ્ત અને મહિલાહિંસામુક્ત બનાવશે તેમાં બેમત નથી.

 (કચ્છમિત્રમાં તા. ૧૨-૩-૨૦૧૬ના પ્રકાશિત)


મહિલાઓની સતામણી એ મર્દાનગીનો પૂરાવો નથી

આપણી સમજ, સંવેદના, અભ્યાસ, અનુભવ એ બધી બાબતો આપણને એક સુસંસ્કૃત માનવ તરીકેની ઓળખ આપે છે. પણ આ બધું હોય છતાં, આપણી ઓળખ ખોટી ઉભી થાય એવું બને. એ માટે કારણરૂપ છે આપણું વર્તન. ઉપરની બધી બાબતોને આપણું વર્તન જ યોગ્ય અથવા નકામી ઠેરવે છે. જ્યાં સુધી કોઈ બાબતમાં વર્તનમાં ના આવે ત્યાં સુધી એ ગમે તેટલી આદર્શ અથવા સારી હોય, વાસ્તવિક નથી બનતી. 
આજે વાત કરવી છે પુરુષ અને સ્ત્રીનાં પરસ્પર સાથેનાં વર્તનની. મોટેભાગે તો આપણે સહુ જાણેઅજાણે સમાજ જેમ ઈચ્છતો હોય છે એમ જ વર્તન કરતાં હોઈએ છીએ. એની અસરને લીધે પૂર્વગ્રહ, પૂર્વધારણાઓ અને ના જાણે શું શું પરિણામ આવે છે. એના કરતાં થોડું વિચારીને વર્તન કરવામાં આવે તો ઘણા પ્રશ્નો ઉભા થતાં અટકી શકે.
ઘણી વાર પુરુષો મિત્રવર્તુળમાં પોતાની સ્વીકૃતિ અને મહત્વ બતાવવા મર્દાનગીનું દંભી પ્રદર્શન કરતા હોય છે. આ પ્રકારનો વ્યવહાર બિલકુલ અયોગ્ય છે. પુરુષોએ પોતાના શબ્દો અને વર્તન પર ધ્યાન આપવાની સાથે તેને સન્માનજનક બનાવવા જોઈએ.
મહિલાઓને જોર-જબરદસ્તી, જરૂરથી વધારે મિત્રતા અને બિનજરૂરી આત્મીયતાની કોશિશ પસંદ નથી હોતી. એટલે એવું બિલકુલ ના માની લેવું કે તેમને આવું વર્તન ગમે છે. મહિલાવિરોધી ભાષા, ગાળો, અભદ્ર બોલીથી દૂર રહેવું. આવી ભાષાનો ઉપયોગ મહિલાઓને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દે છે. મહિલામિત્ર હોય કે મહિલા સહકર્મચારી, તેમને માન આપવું કેમ કે અનાદર તંદુરસ્ત સંબંધ માટે જોખમી છે.
આસપાસ થતા સંભવિત જાતીય સતામણીના બનાવો પ્રત્યે સતર્ક અને મદદ માટે તૈયાર રહેવું જોઈએ. ઘણી વાર આવી સતર્કતા મહિલાને મોટી દુર્ઘટનાથી બચાવે છે. ક્યારેક તો એવું બને છે કે હાજરીમાત્ર અથવા થોડો મોટો અવાજ પણ શોષણખોરને પીછેહઠ કરવા ફરજ પાડે છે.
એવું તો ક્યારેય ભૂલથી પણ ના વિચારવું કે યુવતીઓને છેડછાડ પસંદ હોય છે. આ એક બહુ મોટાપાયે ફેલાયેલી ગેરમાન્યતા છે. એ સમજવું બહુ જરૂરી છે કે જાતીય સતામણી એક ગંભીર ગુનો છે, જે નજરઅંદાજ ન કરી શકાય. ફિલ્મો કે ટીવી ધારાવાહિકોમાં બતાવવામાં આવતાં સતામણીના દ્રશ્યો પણ મહિલાઓને અસુરક્ષિત અને અસલામતીનો અનુભવ કરાવે છે.
યુવતીઓ પોતાની ઈચ્છા પ્રમાણે કપડાં પહેરે તો તેની સતામણી વધી જાય છે. એવું માનવામાં આવે છે કે ટૂંકા કે આધુનિક કપડાં પહેરતી યુવતી “ચાલુ” અથવા “બોલ્ડ” છે. પણ એ માન્યતા સાવ પાયાવિહીન છે. કપડાં એ પસંદગીનું પ્રતિબિંબ છે, નહિ કે વર્તન અને વલણનું. પુરુષ હોય કે મહિલા બન્નેને પોતાની મરજી પ્રમાણે કપડાં પહેરવાનો હક છે. શક્ય છે કે કોઈ યુવતીનાં કપડાં કોઈને પસંદ ન આવે પણ તે બાબત ગુસ્સો કે અવગણનાનો અધિકાર નથી આપતી.
 જાતીય સતામણી કોઈ મજાક નથી. આ એક અનિચ્છનીય અને આક્રમક સત્તાનું પ્રદર્શન છે. જે મહિલાઓના આત્મવિશ્વાસને ડગમગાવે છે. એટલું જ નહિ, તેને ગુસ્સો અને નારાજગીનો અનુભવ કરાવે છે. મહિલાઓની સતામણી એ મર્દાનગીનો પૂરાવો નથી. યુવતીઓને એક સાથી અને મિત્રની જરૂર હોય છે, નહિ કે આક્રમક અને તેની ગરિમાને નુકસાન પહોંચાડનાર શોષકોની. ભીડની માન્યતા સાથે ચાલી શોષક બનવું એ સાચું લાગી શકે, પણ આ માન્યતાથી અલગ વર્તન પુરુષોને સન્માન અપાવે છે. આશા છે કે આ સૂચનો મહિલાઓ માટે સ્વસ્થ અને સલામત વાતાવરણ ઉભું કરશે. કાલે વાત કરીશું બહેનોની એમાં ભાગીદારીની...

 (કચ્છમિત્રમાં તા. ૧૧-૩-૨૦૧૬ના પ્રકાશિત)

મહિલાઓની રોજિંદી હાલત તરફ કોનું ધ્યાન જાય છે?


બે દિવસ પહેલાં ગયેલા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઘણી બધી સફળ મહિલાઓની વાત જાણી હશે. તેમનો સંઘર્ષ અને તેના પછી મેળવેલી સરસ સફળતાની વાત.
સમાજમાં બહેનોની પરિસ્થિતિ વિષે હકારાત્મક બાબતો બહાર આવે તે એક પ્રેરણાદાયી વાત છે. વર્ષમાં એક દિવસ આવી વાતો કરવી સારી લાગે છે. તકલીફ બાકીના ૩૬૪ દિવસની છે. મહિલાઓ સાથે થતી જાતીય સતામણીના કિસ્સા રોજેરોજ વધે છે. મહિલાઓનાં અપમૃત્યુનો આંકડો પણ ઓછો નથી થતો. મહિલાઓની રોજેરોજની વાત આ એક દિવસની ઉજવણીથી ખૂબ અલગ હોય છે. અને કરુણતા એ છે કે માત્ર મોટી ઉમરની બહેનો જ નહિ, કિશોરીઓ પણ નાની ઉમરથી સ્ત્રી હોવાની કીમત ચૂકવે છે.
એક અભ્યાસના ભાગરૂપે ભુજનાં ૨૬૫ કિશોર-કિશોરીઓ સાથે વાત કરવાની તક મળી. એમણે પોતાના અંગત અનુભવો બહુ નિખાલસ રીતે વ્યક્ત કર્યા. કિશોરીઓને પણ માત્ર જાતીય સતામણી જ નહિ, બીજી જાતજાતની સતામણી સહન કરવી પડે છે, જેને જાણીને ચોંકી જવાની સાથે દુઃખની લાગણી પણ થાય. જેમ કે : “ હું એક છોકરી છું, તો મને પતંગ ઉડાડવા પણ ના મળે?” આવો સવાલ કરનારી કિશોરીની કેટલી નાનકડી ઈચ્છા, જે આખરે અફસોસમાં બદલાઈ જાય ! એક છોકરીનાં માતાપિતાને કુટુંબથી અલગ રહેવું પડે છે. કેમ કે તેઓ પોતાની દીકરીને ભણાવવા માગે છે અને કુટુંબના વડીલ એવા દાદા તેની વિરુદ્ધ છે.
ભણવા માટે પોતાનાં ગામમાંથી ભુજ આવવા અપડાઉન કરતી કિશોરીઓની વાત તો વળી અલગ જ છે. તેમને તો શું ને શું સહન કરવું પડે છે ! એક છોકરીને એ પ્રશ્ન છે કે બસને લીધે ક્યારેક મોડી આવે તો લોકો વાતો કરે છે કે આવડી મોડી આવી તો જરૂર કોઈ સાથે ”ચક્કર” હશે ! કોઈ આવી ટીકા સહન કરે છે તો કોઈને રોજ બસમાં પુરુષોનો અણગમતો સ્પર્શ સહન કરવો પડે છે. આ જ અભ્યાસમાં જયારે કિશોરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ઘણા છોકરાઓ એ બસમાં જાય, જેમાં છોકરીઓ વધુ હોય. ભલે ને તે બસ ગમે તે ગામની હોય !
અપડાઉન એ કોઈ છોકરીની કારકિર્દીનો ભોગ પણ લઇ લે છે. એક છોકરી તેની વાત કરતાં કહે છે કે મારી કોઈ મિત્ર ભુજ ભણવા નહોતી આવતી. તો મારાં કુટુંબના સભ્યોએ મને પણ ભુજ જવા દેવાની ના પડી દીધી. એકલી છોકરીને ભુજ કેમ મોકલાય? મારે તો એન્જિનિયર બનવું હતું પણ શું થાય? ગામમાં જેટલાં ધોરણ છે એટલું ભણીને સંતોષ માનવો પડશે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ પણ છોકરીઓ માટે તો જાણે કે ગુનો જ છે. એક છોકરી પોતાનો અનુભવ કહે છે કે છોકરાઓ વોટ્સએપ કે સોશિયલ સાઈટ્સ ઉપર રાતે મોડે સુધી ઓનલાઈન રહે તો કોઈ નોંધે પણ નહિ. જયારે એ જ બાબત છોકરીઓ માટે શંકાનું કારણ બને છે. છોકરી થઈને આટલે મોડે સુધી ઓનલાઈન !!
તો આ છે પરિસ્થિતિ. પસંદગીનાં કપડાની વાત હોય કે પસંદગીની ડીગ્રીની વાત, રાતે બહાર જવાની વાત હોય, અન્ય સ્થળે ભણવાની વાત કે પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ - છોકરીઓને ના તો પસંદગી કરવા મળે છે કે ના તો નિર્ણય કરવા મળે છે. અને આ બધી બાબતો એટલી સ્વાભાવિક રીતે તેમની જીંદગીમાં વણાઈ ગઈ છે કે તે ખોટું છે એવો અહેસાસ જ નથી થતો. અને જ્યારે અહેસાસ મરી જાય ત્યારે વ્યક્તિનું માનવપણું પણ સાથે મરી જાય છે. અને સાચી તો વાત છે, આપણે સ્ત્રીને “નારાયણી” માનીએ છીએ પણ એ સહુથી પહેલાં એક માનવ છે એ સહજતાથી ભૂલી જઈએ છીએ.

            
      કચ્છમિત્રમાં તા. ૧૦-૩-૨૦૧૬ના પ્રકાશિત)

Wednesday, March 9, 2016

સલામત શહેરની તરફ....

આપણે જે શહેર કે ગામમાં રહેતાં હોઈએ તે આપણને ખૂબ પ્રિય હોય છે. તેના વિષે કોઈ કંઈ ઘસાતું બોલે તો આપણે તરત જ બચાવમાં ઉતરી જઈએ છીએ. પણ આ લાગણીને જરા બાજુ ઉપર મૂકીને માત્ર એક પ્રશ્ન વિષે શાંતિથી અને તટસ્થતાથી વિચારીએ. “શું મારું શહેર/ગામ કિશોરીઓ અને મહિલાઓ માટે સલામત છે ખરું?”
જવાબમાં “ના” મળે તો આઘાત લાગે ને? પણ આ વરવી વાસ્તવિકતા છે કે એક પણ ગામ કે શહેર કિશોરીઓ અને મહિલાઓ માટે સલામત નથી. એના અગણિત દાખલાઓ સમૂહ માધ્યમો દ્વારા જાહેરમાં આવે છે. બદનામીના ડરને લીધે બહાર ના આવતા હોય એવા કિસ્સાઓ તો અલગ.
જો આપણે આપણા વતનને સાચાં દિલથી પ્રેમ કરતાં હોઈએ તો તેના નાગરિક તરીકે આપણી જવાબદારી બને છે કે તેને સલામત શહેર/ગામ બનાવીએ. એના માટે સૈનિક કે પોલીસ બનવાની જરૂર નથી. એક સામાન્ય નાગરિક તરીકે પણ આપણે ઘણું કરી શકીએ છીએ તેમ છે. અહી એવી બાબતો મૂકવાનો પ્રયત્ન કર્યો છે, જેનો અમલ કરવામાં આવે તો કિશોરીઓ અને બહેનોની સલામતી જાળવી શકાય.
સમજવું બહુ અગત્યનું છે કે લિંગ આધારીત હિંસાના વિવિધ સ્વરૂપો મહિલાઓને શહેર પરનો એક નાગરિક તરીકેનો અધિકાર મેળવવામાં અડચણરૂપ થાય છે. જેમાં જાહેર જગ્યાઓમાં મુક્તપણે હરવું-ફરવું મહત્વનું પ્રથમ પગથીયું છે. એટલે કે બગીચા, બજાર, મુખ્ય રસ્તાઓ ઉપર બહેનો મુક્ત રીતે હરીફરી શકે છે કે નહિ એ ચકાસવું પડે. માત્ર દિવસે જ નહિ, મોડી સાંજ કે રાતનો સમય પણ તેમને ત્યાં ફરવા માટે અનુકૂળ રહે છે કે નહિ તે પણ જોવું પડે. ઘણી વાર એવું બને છે કે આવી ભીડભાડવાળી જગ્યાઓએ સીટી મારીને, અભદ્ર કમેન્ટ કરીને, શરીરના અમુક ભાગોએ જાણીજોઈને સ્પર્શ કરીને બહેનો સાથે છેડછાડ કરવામાં આવે છે.
આવી જાહેર જગ્યાઓને મહિલાઓ માટે સંવેદનશીલ અને સલામત બનાવવા માટે મહિલાઓ, સ્થાનીય શાસન અને મહિલાઓના મુદ્દે કામ કરતાં જૂથોની એક-બીજા સાથેની ભાગીદારી જાહેર જગ્યાઓમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. શાળા-કોલેજ જેવાં સ્થળોએ પણ પોલીસની નજર હોવી જોઈએ. જેને લીધે રજા સમયે થતી ભીડમાં પણ કિશોરીઓ સલામત રહે.
 સ્ટ્રીટ સર્વે, જૂથ ચર્ચા, સલામતી ઓડીટ જેવાં અલગ અલગ માધ્યમથી વિવિધ વર્ગની મહિલાઓ અને કિશોરીઓના રોજીંદા અનુભવોને જાણી અને સમજી શકાય છે. લૈંગિક હિંસાની સચોટ, વિશ્વાસપાત્ર અને સ્થાનિક આંકડાકીય માહિતી મેળવવા માટેના આ ખૂબ અસરકારક માધ્યમ છે. માહિતીનું વિશ્લેષણ અને છણાવટ ભારપૂર્વક સાબિત કરે છે કે દરેક વ્યક્તિને જાહેર સ્થળો અને તે માટેની નિર્ણય-પ્રક્રિયામાં શામેલ થવાનો સંપૂર્ણ અધિકાર છે.
મહિલાઓ, યુવતીઓ અને અન્ય હિતધારકોમાં જાહેર સ્થળોએ હિંસા વિશે સમજ વિકસાવવી. આ મુદ્દે સ્ત્રીઓને પોતાના વિસ્તાર માટે આગેવાની લેવા પ્રેરિત કરવી. બજેટની યોગ્ય ફાળવણી માટે નીતિ-વિષયક હિમાયત કરી  સશક્ત કરવી. જેને લીધે બહેનોના અભિગમથી નાણાકીય ફાળવણી કરવામાં આવે.
બહેનોના સામુદાયિક સંગઠનો વચ્ચે ઇન્ટરનેટ અને મીટીંગોના માધ્યમથી શીખવાની અને ચિંતન કરવાની જગ્યા પૂરી પાડવાથી પ્રકારના કામોને વધુ અસરકારક બનાવી શકાય છે. બહેનો પોતાના અનુભવો વ્યક્ત કરતી થાય છે. પોતાની તકલીફોનો પોતે જ હલ શોધતી થાય છે. એટલું જ નહિ, માહિતીની તાકાતથી શાસનને પણ જવાબદાર બનાવે છે.
એક બાબત સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે મહિલાઓની સલામતી એ માત્ર મહિલાઓનો મુદ્દો નથી. એ દરેક સંવેદનશીલ નાગરિકનો મુદ્દો બંને એ અત્યંત જરૂરી છે. કેમ કે દરેક ઘરમાં મહિલા સભ્ય હોય જ છે.
સલામત શહેરની દિશામાં થયેલા પ્રયત્નો અને ટકાઉપણા માટે પ્રાપ્ત સફળતાને ટકાવી રાખવી, સતત સંપર્ક અને સંકલન, જ્ઞાનનું આદાન-પ્રદાન, વિચાર અને વલણમાં બદલાવ સતત અને સુપેરે ચાલુ રહે તે આવશ્યક છે.  
             (કચ્છમિત્રમાં તા. ૯-૩-૨૦૧૬ના પ્રકાશિત)